સંસદ નહીં ચાલવા દઈને વિપક્ષી પાર્ટીઓ લોકોનુ અને લોકશાહીનુ અપમાન કરી રહી છેઃ પીએમ મોદી
પીએમ મોદીએ ફરી એક વખત વિપક્ષની આકરી ઝાટકણી કાઢીને આરોપ મુક્યો છે કે, સંસદના ચોમાસુ સત્રને વિપક્ષ ચલાવવા દઈ રહ્યો નથી.
ભાજપની સંસદીય દળની બેઠકમાં પીએમ મોદીએ વિપક્ષ દ્વારા લોકસભામાં થઈ રહેલા હંગામા અંગે કહ્યુ હતુ કે, આ લોકશાહી અને લોકોનુ પણ અપમાન છે. આ પહેલા પણ પીએમ મોદીએ કહ્યુ હતુ કે, વિરોધી પાર્ટીઓ જાણી જોઈને એવો વ્યવહાર કરી રહી છે કે, સંસદમાં જે પણ ગતિરોધ છે તે ખતમ ના થાય. કોંગ્રેસ અને બીજી પાર્ટીઓના આ પ્રકારના વલણની પોલ દેશની જનતા સમક્ષ ખોલવાની જરૂર છે.
ઉલ્લેખનીય છે કે, સંસદમાં વિવિધ મુદ્દાઓને લઈને વિપક્ષો હોબાળો કરી રહ્યા છે. જેના કારણે સંસદની કામગીરી પર બહુ ગંભીર અસર પડી રહી છે. પેગાસસ જાસૂસી વિવાદ અને નવા કૃષિ કાયદાને લઈને વિપક્ષ દ્વારા સંસદમાં સતત હંગામો કરવામાં આવી રહ્યો છે. જેના પગલે 19 જુલાઈથી શરૂ થયેલી સંસદમાં મહત્વની કોઈ કામગીરી થઈ નથી.