ફ્રાંસથી ઉડાન ભરીને વધારે ત્રણ રાફેલ વિમાન ભારત પહોંચ્યા, દેશમાં રાફેલની સંખ્યા 24 થઇ
આ ખેપ આવ્યા બાદ હવે ભારત પાસે 24 રાફેલ વિમાન થયા છે. રાફેલ જેટની નવી સ્કવોડ્રન પશ્ચિમ બંગાળના હાસીમારા એર બેઝ પર તહેનાત થશે. પહેલી રાફેલ સ્કવોડન અંબાલા વાયુસેના સ્ટેશન પર સ્થિત છે. એક સ્કવોડનમાં 18 વિમાન હોય છે.
ભારતે 36 રાફેલ વિમાન ખરીદવા માટે 2016માં ફ્રાંસ સાથે કરાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે પાંચ રાફેલ વિમાનોનો પહેલો જથ્થો 29 જુલાઇ 2020ના રોજ ભારત પહોંચ્યો હતો. જેના લગભગ ચાર વર્ષ પહેલા ફ્રાંસથી 59,000 કરોડ રુપિયામાં 36 રાફેલ વિમાન ખરીદવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
રાફેલ યુદ્ધ વિમાનોની સાતમી ખેપમાં ત્રણ વધારે વિમાન ફ્રાંસથી ઉડાન ભરીને લગભગ આઠ હજાર કિલોમીટરનું અંતર કાપીને ભારત પહોંચ્યા છે. આ વિમાનોને ભારતીય વાયુસેનાની રાફેલ વિમાનોની બીજી સ્કવોડ્રનમાં સામેલ કર્યા છે. ફ્રાંસથી આવેલા આ વિમાનોને હવાઇ માર્ગમાં સંયુક્ત આરબ અમીરાતની વાયુસેનાએ ઇંધણ ઉપલબ્ધ કરાવ્યું.
આ વિમાનોને ગયા વર્ષે 10 સપ્ટેમ્બરના દિવસે અંબાલામાં એક કાર્યક્રમમાં આધિકારિક રીતે ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યા હતા. ભારતીય વાયુસેના માટે રાફેલ વિમાન ગેમચેન્જર ગણાવામાં આવે છે. કારણ કે તેમના આવવાથી ભારતની તાકાતમાં ઘણો વધારો થયો છે. ભારતે આ વાતના સબૂત લદ્દાખમાં ઉડાન ભરીને આપ્યા છે.
ભારતીય વાયુસેનાએ ટ્વિટ કર્યુ કે ફ્રાંસના ઇસ્ત્રેસ એયર બેઝથી ઉડીને ક્યાંય રોકાયા વગર ત્રણે રાફેલ વિમાનો થોડા સમય પહેલા ભારત પહોંચ્યા છે.